આજકાલ ગુજરાતનું પ્રતિનિધીત્વ દરેક બાજુએ ઝળકી રહ્યુ છે. ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં સભાઓ ગજાવે છે, જનમેદની એકઠી કરે છે, વડાપ્રધાન બને કે નહી પણ વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ હોવાનું બ્રાન્ડિંગ કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા ગયેલી ધોનીની ટીમમાં ગુજરાતી બ્રાન્ડ ચેતેશ્વર પુજારા રનોની રમઝટ બોલાવી વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે, તો કોમોડિટીનાં વેપારમાં મેઇડ ઇન ગુજરાત ગણાતી એરંડા, ધાણા અને કપાસ જેવી કોમોડિટી રોકાણકારો માટે ટંકશાળની જેમ રૂપિયાની નોટો છાપી રહી છે. આવી કડકડતી ઠંડીમાં પણ એરંડો રોકાણકારોનાં ખિસ્સા ગરમ કરી રહ્યો છે. બીજીતરફ ગુવાર કોમ્પ્લેક્ષ, ચણા અને સોના-ચાંદીનાં રોકાણકારો હવે લેણનાં સોદા ઉભા રાખવાનું સ્વપ્ન પણ જોઇ શકતા નથી. જેણે આવા દુસાહસ કર્યા છે તેમણે બે થી માંડીને ૧૦ ટકા જેટલા નુકસાન સહન કર્યા છે. બાકી વિતેલા સપ્તાહમાં તેલ તથા તેલીબિયાં ખાસ કોઇ વધઘટ વિના બજારમાં સ્થિર ભ્રમણ કરતા રહ્યા હતા. મસાલામાં હળદરે વળતરની આગેવાની લીધી હતી.
વિતેલા સપ્તાહમાં મસાલાનાં વેપાર વિશેષ સ્પાઇસી રહ્યા. ખાસ કરીને હળદરનાં રોકાણમાં રોકાણકારોને એક સપ્તાહમાં પાંચ થી સાત ટકા જેટલુ માતબર વળતર નસીબ થયુ હતુ. જોકે ભાવનાં વધારા પાછળ નિપજનાં કારણો કરતા અન્ય કારણો વધારે જવાબદાર મનાય છે. મથકોએ માલ સારા આવતા નહી હોવાની સ્ટોકિસ્ટો અને દલાલોની ફરિયાદ છે. જ્યારે સામાપક્ષે સારી ક્વોલીટીની હળદર માટે ભારે પુછપરછ થઇ રહી છે. ઇરોડમાં તો શુક્રવારે હળદરની આવક એટલી ખરાબ ગુણવત્તાની હતી કે મંડીમાં આવેલા માલમાંથી અડધો-અડધ માલ વેચાયા વિના પાછો ગયો હતો. મથકોએથી મળતા અહેવાલો પ્રમાણે સાંગલી, ઇરોડ તથા નિઝામાબાદની ત્રણેય મંડીઓમાં લ મળીને વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ૩૦૦૦ બોરી હળદરની આવકો હતી. દલાલો જણાવે છે કે હજુ નવી સિઝનની હળદરને આવવામાં વાર છે. હાલમાં જુની સિઝનનો બાકી બચેલો માલ આવી રહ્યો હોવાથી ક્વોલીટીની સમસ્યા રહેશે જ. બીજીતરફ ખેડૂતો જુનો પણ સારી ગુણવત્તા વાળો માલ હજુ ભાવ વધવાની આશામાં દબાવીને બેઠા છે. આમેય તે આગામી સિઝનમાં ગત સિઝન જેટલી જ હળદર પાકવાની ધારણા છે, તેથી હાલમાં જુનો કેરી ફોરવર્ડ સ્ટોક પુરો કરવાની મોસમ ચાલે છે. આ સ્ટોક જેટલો ઓછો થશે એટલા આગામી સિઝનમાં ભાવ મજબુત મળી શકે છે. ૧૩મી ડિસેમ્બરે ક્વિન્ટલ દિઠ હળદરનાં ભાવ ૫૨૨૬ રૂપિયા હતા, જે ૨૦ મી ડિસેમ્બરે ૫૪૮૮ રૂપિયા બોલાતા હતા.
ધાણામાં પણ રોકાણકારોને એક અઠવાડિયામાં ત્રણ ટકા જેટલુ વળતર મળ્યુ હતુ. ભાવ વધવા પાછળ પાક-પાણીનાં પરિબળો કરતા પોલીટિકલ અને રોજગારીનાં પરિબળો વધારે જવાબદાર રહ્યા છે. રાજસ્થાનમાં છેલ્લા એક અઠવાડિયાથી બોરીઓ ઉપાડનારા મજુરોની હડતાલ ચાલે છે. જોકે આ હડતાલનો વાઇરસ હડૌતી વિસ્તારમાંથી જ ફેલાયો હોવાથી આ વિસ્તારમાં તેની વિશેષ અસર જોવા મળી હતી. રાજસ્થાનની મંડીઓમાં જુદી-જુદી કોમોડિટી માટે જુદા-જુદા વજનની બોરી બનાવવાની પરંપરા છે. જ્યારે કામદારો હવે તમામ કોમોડિટીની બોરીનું વજન એકસરખુ ૫૦ કિલો રાખવાની માગણી કરી રહ્યા છે. જોકે ધાણામાં તો પહેલેથી જ ૪૦ કિલોની બોરી બાંધવાની પ્રથા હોવા છતાં હાલમાં હડતાલનાં કારણે વિતેલા સપ્તાહમાં કામકાજ બંધ જેવા રહ્યા હતા. જેને માલની તાકિદની જરૂર હતી તેમણે પાછલે બારણેથી માલ રવાના કર્યો અને તેના ભાવ પણ ઉંચા રહ્યા. ગુજરાતમાં પણ ધાણાની આવકો પાંખી જોવા મળી હતી. ૧૩મી ડિસેમ્બરે ક્વિન્ટલ દિઠ ધાણાનાં ભાવ ૭૪૨૨ રૂપિયા હતા, જે ૨૦ મી ડિસેમ્બરે ૭૬૧૮ રૂપિયા બંધ રહ્યા હતા. જીરામાં ગુજરાતમાં વાવેતર વધારે હોવાનાં પ્રાથમિક અહેવાલો છે. પણ સતત બે માસથી ભાવ ઘટી રહ્યા હતા. વળી નીચા મથાળે નિકાસનાં વેપારો પણ વધ્યા હોવાથી સ્ટોક ઘટી રહ્યો હોવાનાં અહેવાલ છે.
એરંડો છેલ્લા બે માસથી તેજીની માનસિકતા વાળા રોકાણકારોની હોટ ફેવરીટ કોમોડિટી છે. સ્પેક્યુલેશન, ઇન્વેસ્ટમેન્ટ અને ફંડામેન્ટલ્સના ત્રિકોણિયા જંગ વચ્ચે વિંટળાયેલા એરંડાની હાલની તેજીમાં કોનો ફાળો વધારે છે તે નક્કી કરવુ મુશ્કેલ છે, આમ છતા ભાવ વધ્યા હોવાથી ગુજરાતની મંડીઓમાં માલની આવકોમાં જોરદાર વધારો થયો છે. ગુજરાતનો ખેડૂત પણ વેપારી જેવો થઇ રહ્યો છે. ઉંચા ભાવે જુનો માલ વેચી રહ્યો છે. ૪૫૦૦ રૂપિયાનાં મથાળે જુના એરંડાનો નિકાલ થઇ જાય તો તેમાં ખોટું પણ શું છે. મથકોએથી મળતા અહેવાલો પ્રમાણે વિતેલા સપ્તાહમાં મંડીઓમાં સરેરાશ દૈનિક ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ બોરી એરંડાની આવકો નોંધાઇ હતી. સામાન્ય રીતે આ સમયગાળામાં આટલી મોટી આવકો થતી નથી. મતલબ કે પાક સાવ ઓછો હોવાનાં દાવા ફરી ચકાસવાની જરૂર છે. આમ છતાં મિલરોને નિકાસમાં પડતર હોવાથી થોડો મોંઘો એરંડો પણ ચાલે છે. નિકાસકારો અત્યારથી ગણતરી મુકે છે કે આ વર્ષે ભારતમાંથી ૨૦,૦૦૦ ટન જેટલા એરંડિયાની નિકાસ વધી શકે છે. કારણકે ચીનમાં એરંડાનો પાક ઓછો હોવાના અહેવાલ છે. આ તમામ ગણતરીઓ વચ્ચે વિતેલા સપ્તાહમાં એરંડાનાં રોકાણમાં રોકાણકારોને ચાર થી પાંચ ટકા જેટલુ ઉંચુ વળતર મળ્યુ હતું. ૧૩મી ડિસેમ્બરે ક્વિન્ટલ દિઠ એરંડાનાં ભાવ ૪૪૭૦ રૂપિયા હતા, જે ૨૦મી ડિસેમ્બરે ૪૬૬૪ રૂપિયા બોલાતા હતા.
ગુવારમાં આ સિઝન વેચીને જીતનારા માટે સફળ રહી છે. જે લોકો વહેલા નીકળી ગયા તે સુખી છે. મંડીઓમાં માલની આવકો પણ વધી રહી છે. ઉત્તર ગુજરાત અને બાડમેર પંથકમાં પણ આવકો વધી રહી છે. ગુજરાતમાં જ સરેરાશ દૈનિક ૧૫,૦૦૦ બોરી ગુવારની આવકો નોંધાઇ હતી. વચ્ચે બે મહિના નિકાસમાં વધારો દેખાયો પણ હાલમાં ખાસ હલચલ નથી. ૪૭૦૦ રૂપિયાવાળા ગુવારનાં ભાવ એક અઠવાડિયામાં ઘટીને ૪૩૦૦ રૂપિયા થઇ ગયા છે.
કઠોળમાં આ વખતે વાવેતર વધ્યા હોવાના અહેવાલ છે. ખાસ કરીને ચણાનો પાક વધવાની સંભાવનાનાં કારણે વિતેલા સપ્તાહમાં ચણાનાં ભાવમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. સરકારી આંકડા જણાવે છે કે ડિસેમ્બર-૧૩નાં પ્રથમ સપ્તાહ સુધીમાં ૭૫.૪૮ લાખ હેક્ટર વિસ્તારોમાં ચણાનું વાવેતર થઇ ચુક્યુ છે જે ગત સાલ કરતા ત્રણ લાખ હેક્ટર જેટલુ વધારે છે. એમ તો મસુરનાં વાવેતરમાં પણ ગત સાલ કરતા વધારો છે. પણ તેનુ કુલ વાવેતર ૧૧.૨૭ લાખ હેકટરમાં નોંધાયુ છે. વિતેલા સપ્તાહમાં ચણાનાં રોકાણમાં બે થી ત્રણ ટકાનું નકસાન સહન કરવુ પડ્યુ છે. ૧૩મી ડિસેમ્બરે ક્વિન્ટલ દિઠ ચણાનાં ભાવ ૩૦૦૦ રૂપિયા હતા. જે ૨૦ ડિસેમ્બરે ૨૯૩૫ રૂપિયા બોલાતા હતા.
મોડે મોડેથી પણ ખાંડનાં કારખાનાને લોનનો ટેકો મળતા તે ફરી ચાલુ થયા છે. જેથી ગોળનાં ઉત્પાદન તરફ મજબુરીથી જઇ રહેલી શેરડીનો માર્ગ બદલાઇને શેરડીનાં કારખાના તરફનો થયો છે. આ જ કારણ છે કે ગોળનું ઉત્પાદન ઓછું થતા ભાવ સ્થિર થયા છે. તેથી ગોળનાં રોકાણકારોને વિતેલા સપ્તાહમાં ત્રણેક ટકા જેટલો નફો રળવાનો ચાન્સ મળ્યો હતો. ગોળનાં ભાવમાં એક સપ્તાહમાં ૩૦ રૂપિયા સુધીનો વધારો નોંધાયો હતો.
KS/DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: