વિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના સમયે એક ઘોડેસવાર ગામના ચોરે આવીને ઊભો રહ્યો. ગામ માટે પોતે અજાણ્યો હતો અને પોતાના માટે ગામ અજાણ્યું હતું. પણ રાતવાસો કર્યા વગર છૂટકો નહોતો.
તેમણે ચોરા પર બેઠલા ડાયરાને રામ..રામ...કર્યા. સામે રામ..રામ..નો જાણે વરસાદ વરસ્યો. પછી કોઈએ પૂછ્યું: ‘ભાઇ, અજાણ્યાં લાગો છો!?’
‘હા, આવું છું અમરેલી પાસેના વાંકિયા ગામથી....ને આ પંથકથી સાવ અજાણ્યો છું!’ પછી આગળ કહ્યું : ‘દ્વારકાની જાત્રાએ નીકળ્યો છું, અહુર થઇ એટલે થયું કે, આ ગામમાં રાતવાસો કરતો જાઉં!’
ઘોડેસવાર આટલું બોલે ત્યાં તો આવકારાની ઝડી વરસી. કોઈ કહે મારા ઘેર આવો, બીજો કહે મારા ઘેર... હવે જાવું કોના ઘેર! અસવાર માટે મીઠી મૂંઝવણ થઇ પડી.પણ પછી તેમાંથી રસ્તો કાઢતા વાર ન લાગી. અસવારે કહ્યું: ‘જેના ઘેર ચારણ-બારોટના બેસણાં હોય તેનાં ઘેર રાત રોકવાના અબળખા છે!’
પોતાનો ઘરવાળો ઘેર નથી તેની ગેરહાજરી લાગે નહિ તેથી માકબાઇએ પૂરતી કાળજી રાખી, પોતાના મા જણ્યાં ભાઈને જમાડે તેમ પાસે બેસીને જમાડ્યા.
ચોરા પર ઘડીભર સોંપો પડી ગયો.સૌના ઘેર આવાં બેસણાં નહોતા.પણ ત્યાં એક દશ-બાર વરસનો દીકરો આગળ આવીને ઊભો રહ્યો ને બોલ્યો: ‘બાપુ, હાલો મારાં ઘેર..!’
નાનકડો રામ ઘોડાની લગામ ઝાલી, અસવારને પોતાના ઘેર લઇ આવ્યો.પછી ફળીયામાં ઊભા રહી સાદ કર્યો: ‘મા, મેં’માન...’
દીકરાનો સાદ સાંભળી મેરાણી માકબાઇ ઘરમાંથી એકદમ બહાર આવ્યા. જોયું તો કોઈ અજાણ્યાં મહેમાન હતાં. પણ મહેમાનને જોતાં જ મેરાણી અછો-અછોવાના કરવા લાગ્યા.તરત જ તેમણે ઓસરી પર ઢોલિયો ઢાળ્યો. માથે મુંઢા હાથ જેટલી જાડી રૂની તળાઈ બિછાવી.પછી કહ્યું :‘લ્યો ભાઇ, નિરાંતવા બેહો!’
મહેમાન ઢોલિયા પર બેઠા.
પોતાનો ઘરવાળો ઘેર નથી તેની ગેરહાજરી લાગે નહિ તેથી માકબાઇએ પૂરતી કાળજી રાખી, પોતાના મા જણ્યાં ભાઈને જમાડે તેમ પાસે બેસીને જમાડ્યા.
દરબાર આલીગ વાળાને આખા દિવસનો થાક હતો એટલે પથારીમાં લાંબા થતાં જ આંખો મળી ગઈ. સવાર ક્યારે થઈ તેનો ખ્યાલ જ રહ્યો નહિ.
સવારે ઉઠી, પરવારી લીધું. બાજરાનો રોટલો, ગોળ અને દહીંનુ શિરામણ કરી લીધું. ત્યારે પણ માકબાઈએ અદકા હેતથી શિરામણ કરાવ્યું. ‘મારાં વીરા! લાંબી ખેપ છે, ધરાઈને ખાય લ્યો એટલે પછી દિ’ આખો નિરાંત..!’.
રાત્રિએ આલીગ વાળાએ પોતાનો સર-સમાન ભરોલો ખડિયો માકબાઈને ઘરમાં મૂકવા આપ્યો હતો. તે માંગતા કહ્યું: ‘બેનબા! મારો ખડિયો લાવો તો...’
આલીગ વાળો એકદમ ઊભા થઇ ગયાં. સાચું કહેવું કેમ? જેમના ઘેર રોકાયા, અન્ન-પાણી લીધાં તેમનાં પર આરોપ મૂકવો કેમ!?
આમ તો અલીગ વાળાને ખાડિયામાંથી રૂપિયા કાઢી, નાનકડાં રામના હાથમાં બે ચાર રૂપિયા આપવાની ગણતરી હતી.માકબાઈએ ઘરમાંથી ખડિયો લાવીને આપ્યો. આલીગ વાળાએ ખડિયાના ખિસ્સામાં હાથ નાખ્યો..પણ હાથ એમને એમ રહી ગયો. થયું કે હવે ખાલી હાથને બહાર કાઢવો કેમ!? તેમનાં પેટમાં વીઘા જેવડી ફાળ પડી. મોં પર ઝાંખપ છવાઈ ગઈ.
ચકોર એવાં માકબાઈના મનમાં અજુગતું બન્યું હોય તેવો ભાસ થયો. તેમણે બે ડગલાં ચાલી, આલીગ વાળાની સાવ પડખે આવી પૂછ્યું: ‘ભાઇ, કાંઇ મૂંઝવણ થઇ...!?’
‘ના..ના, બેનબા એતો અમસ્થા જ...’આલીગ વાળાની જીભ લોચા વાળવા લાગી.
માકબાઈએ દીકરાના સોગંદ આપતાં કહ્યું: ‘ભાઇ, સાચું નો બોલો તો રામ દુવાય છે!’
આલીગ વાળો એકદમ ઊભા થઇ ગયાં. સાચું કહેવું કેમ? જેમના ઘેર રોકાયા, અન્ન-પાણી લીધાં તેમનાં પર આરોપ મૂકવો કેમ!? પણ દીકરા સોગંદ દીધા એટલે સાચું કહ્યાં વગર રહેવાય તેમ નહોતું.
આલીગ વાળાએ સોખમણ સાથે કહ્યું: ‘ઘેરથી નીકળ્યો ત્યારે કાઠિયાણીએ આ ખાડિયાના ખિસ્સામાં રૂપિયાની કોથળી મૂકી હતી, ઇ કોથળી નથી...’
(વધુ આવતાં અંકે...)
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: