પદ્મશ્રી, પદ્મભૂષણ અને હવે પદ્મવિભૂષણ, પ્રો. કે.જી. સુબ્રમણ્યમ ભારતના કદાચ એકમાત્ર સમકાલીન કલાકાર હશે, જેઓને આટલી બધી રાષ્ટ્રીયકક્ષાની સર્વોચ્ચ પદવીઓથી નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં એસોસિયેશન ઓફ બ્રિટિશ સ્કોલરના વડોદરા શાખા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રો.કે.જી. સુબ્રમણ્યમને પ્રત્યક્ષ સાંભળવાનું પ્રારબ્ધ મને પ્રાપ્ત થયું. શાંતિનિકેતન અને કલાભવનના પર તેમણે હાલમાં જ પરિપૂર્ણ કરેલાં સ્મારકસમા અદભુત મ્યુરલ્સની કામગીરી બદલ તેમના સન્માન કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 88 વર્ષના પ્રો. સુબ્રમણ્યમને લોકો મણી સર કે મણી દા ના લાડીલા નામથી પણ ઓળખે છે.
જે લોકોને મણી સરનો પરિચય નથી તેઓ માટે ટૂંકમાં અહિયા તેમની ઓળખ આપું છું, પ્રો. કે.જી. સુબ્રમણ્યમનો જન્મ 1924માં કેરાલામાં થયો. મદ્રાસની પ્રેસિડન્સી કોલેજમાં અર્થશાસ્ત્રના અભ્યાસ દરમિયાન તેઓ ગાંધીજીની વિચારસરણીથી પ્રેરાઈ, સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા અને જેલમાં પણ ગયા. 1944માં વિશ્વભારતી મહાવિદ્યાલયના કલાભવનમાં લલિતકલાના અભ્યાસ માટે તેઓ શાંતિનિકેતન ગયા ત્યારે તેમના જીવને એક પરિવર્તનશીલ વળાંક લીધો. અહીં શાંતિનિકેતનમાં તેઓએ આધુનિક ભારતીય લલિતકલાના (મોર્ડન આર્ટ)ના આધારસ્તંભ એવા નંદલાલ બોઝ, બિનોદ બિહારી મુખરજી અને રામકિંકર બાજીના માર્ગદર્શન હેઠળ 1948 સુધી લલિતકલાનો અભ્યાસ કર્યો.
પ્રો. કે.જી. સુબ્રમણ્યમે 1951માં વડોદરાની મહારાજા સયાજીરાવ મહાવિદ્યાલયની લલિતકલા શાખામાં પ્રાધ્યાપકની પદવી સંભાળી અને ત્યારબાદ આ શાખાના વડા પણ બન્યા. 1980માં તેઓએ શાંતિનિકેતન તરફ પ્રયાણ કર્યું. 1962માં પ્રો. કે.જી. સુબ્રમણ્યમ અને પ્રવીણ શિલ્પી શોંખો ચૌધરીએ મળીને વડોદરાના ખ્યાતનામ એવા ‘ફાઈન આર્ટસ ફેર’ની શરૂઆત કરી. ત્યારબાદ 1956માં તેઓ થોડા સમય માટે લંડનની સ્લેઈડ સ્કૂલ ઓફ આર્ટસમાં ‘બ્રિટિશ કાઉન્સિલ’ ના વિદ્યાર્થી તરીકે ભણવા ગયા અને થોડા સમય માટે ન્યૂયોર્કની રોકફેલરમાં પણ ભણ્યા. 1980થી લઈને 1989માં તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી પોતાની માતૃસંસ્થા શાંતિનિકેતનમાં ચિત્રકલા શીખવતા રહ્યા. તે સમયે 1989માં તેઓને વિશ્વભારતીના નિવૃત્ત પ્રાધ્યાપક બનાવવામાં આવ્યા.
ખરા અર્થમાં ‘રેનેસાંસ પુરુષ’ કહી શકાય એવા પ્રો. કે.જી. સુબ્રમણ્યમ કલાકાર તરીકે ખૂબ જ માન પામ્યા છે કારણકે તેઓ ખૂબ કુશળ શિક્ષક, લેખક, વિવેચક, ઇતિહાસકાર, કલાશાસ્ત્રી અને ચિત્રકાર પણ છે. પ્રાશ્ચાત સિદ્ધાંતોનું પુનઃ સંદર્ભીકરણ કરી તેનો ભારતીય અને પૂર્વીય સંસ્કૃતિના સંદર્ભમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય તે વિષયમાં તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. ભારતીય અને પ્રશ્ચાત સંસ્કૃતિની સામાજિક હકીકત વચ્ચેના મૂળભૂત તફાવતો જેમકે, ભારતની કલા પરંપરામાં કલા/હસ્તકલાનું સ્થાન. તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. ચિત્રકલા સિવાય પણ તેઓએ ઘણી બધી દિશાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે જેમકે, ભીંતશિલ્પકલા, રમકડાંની બનાવટ, માટીકલા, પ્રિન્ટ મેકિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, ઇલસ્ટ્રેશન, ડિઝાઈન તેમજ ટેરાકોટા શિલ્પ. તેઓનાં ચિત્રો તેમાં આંતરિક રીતે છલકાતાં કટાક્ષભાવ, કલ્પકતા અને સામાજિક ટીકા માટે જાણીતાં છે.
મણી સરના વિદ્યાર્થી રહી ચૂકેલા અને હાલમાં લલિતકલા શાખામાં ચિત્રકલાવિભાગના પ્રાધ્યાપક એવા ઇન્દ્રપ્રમિત રોયએ ખૂબ જ સુંદર રીતે કુશળ અને પ્રતિભાશાળી એવા પ્રો. કે.જી. સુબ્રમણ્યમની ઓળખ આપતાં કહ્યું, કે મણી દા એક વટવૃક્ષ છે, જેની અગણિત છાંયો આપતી શાખાઓ છે, તેની વડવાઈઓ મૂળ સુધી વિસ્તરેલી છે અને આ ગાઢ વૃક્ષના આશ્રયમાં અને તેની આજુબાજુ નાના નાના છોડને વિકસવા માટે પૂરતી તક અને પ્રકાશ પણ છે. વડોદરામાં વસતી આવી મહાન વિભૂતીને બિરદાવવા માટે આનાથી વધુ સારી તુલના કઇ આપી શકાય?
મણી દાએ પોતાના વક્તવ્યની શરૂઆત ખૂબ જ ભાવુક છતાં સ્વસ્થ મનથી કરી, બેઠેલાં દર્શકગણમાં સ્વ.રણજિતસિંહ ગાયકવાડની કમીનો તીવ્ર અહેસાસ તેઓએ વ્યક્ત કર્યો. એક સમયે તેમના વિદ્યાર્થી રહી ચૂકેલા એવા રણજિતસિંહમાં રહેલા માનવતાના ગુણને તેઓએ બિરદાવ્યા. શિક્ષક હોવું અને કલાનું જ્ઞાન આપવામાં નડતી મુશ્કેલીઓ વિષે તેઓએ ચર્ચા કરી. ટાગોર અને મણી દાના શિક્ષક નંદલાલ બોઝ માનતા કે, કલા કોઈ દિવસ શીખવાડી શકાતી નથી, માત્ર તેને કરવાની રીત અને કામગીરી શીખવી શકાય પણ આ આવડતને કઈ રીતે ધારદાર બનાવીને તેનું કલામાં રૂપાંતર કરવું એ તો વિદ્યાર્થી ઉપર જ નિર્ભર છે.
છેલ્લા 6 દાયકાઓમાં થયેલાં ભારતીય સમકાલીન કલાના વિકાસ વિષેની માહિતી પણ ચીવટપૂર્વક તેમણે પોતાના વક્તવ્યમાં આવરી લીધી. ચાળીસ અને પચાસના દાયકામાં જે પ્રશ્નો દરેક ચિત્રકારના મનમાં પેદા થયા હતા કે, ભારતીય કલા ‘ભારતીય’ કઈ રીતે થઇ? આપણે કઈ રીતે પોતાની જાતને ઓળખીશું? બધી વસ્તુ શોધવાથી નથી મળતી અને ભૂતકાળને ભૂલીને આગળ વધવામાં જ ભલું છે એની સમજ આપતાં ‘પ્યોરીસમ’ નો કાળ શરૂ થયો જયારે ચિત્રકારો માત્ર ચિત્રો કરતાં અને શિલ્પીઓ શિલ્પ ઘડતાં. મણી દા હસતાં હસતાં બોલ્યા,“ મેં જયારે કલાના ક્ષેત્રમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે માત્ર શીખવા માટે “કલા” (લલિત) જ હતી,,!, હવે બધા બધું જ કરે છે, ઈંસ્ટોલેશન, ભીંતચિત્રો વગેરે..! આ રીતે દુનિયાને દૂષિત કરતાં રહીશું તો કદાચ એક દિવસ એક સારી દુનિયા બનાવી શકીશું. બસ, આ જ બધા વિચારોને, છેલ્લા બે દાયકાઓની મહેનત પછી કલા ભવન, શાંતિનિકેતનવાળા મ્યુરલસમાં ઉતાર્યા છે.”
“બંગાળ એક એવી જગ્યા છે, જ્યાં તમે કયાંય પણ નજર કરો તમને કોઈ દીવાલ કોરી નહિ દેખાય- કોઈક ચૂંટણીનાં સૂત્રો, જાહેરાત, કોઈ સંદેશ અથવા ગાયના છાણમાંથી બનાવેલી જુદી જુદી ભાત તમને જોવા મળશે. મને આપણી આજુબાજુના વાતાવરણની અંદર જ કલાનું સર્જન કરવું ગમે છે. લોકો તેમની આજુબાજુના માહોલમાં રહેલી કલાને ઓળખવાને બદલે કલાપ્રદર્શનમાં જવું પસંદ કરે છે. શાંતિનિકેતનના બધાં મકાનો દેખાવે ખૂબ સાધારણ હતાં, તો મને થયું કે કંઇક નવું કરવું જોઈએ અને ત્યાંજ મને આ કાળા-સફેદ મ્યુરલ્સનો વિચાર ઉદભવ્યો.”
આ કાર્ય બે તબક્કામાં પૂર્ણ થયું, 1991-92 અને 2004-05. શાંતિનિકેતનની આબોહવા બહુ સારી નથી અને તેથી જ મ્યુરલ્સના સ્થાયિત્વ વિષે ઘણા પ્રશ્નો ઉત્પન્ન થયા. આ વાતાવરણમાં તેઓ કઈ રીતે ટકી શકશે? અથવા તો ક્યાં સુધી ટકી રહેશે? એ બધા પ્રશ્નો મણી દા સુધી પહોંચ્યા. તેઓ બોલ્યા, “ માત્ર કલાને નહિ પરંતુ કલાકારને પણ જીવંત રાખવો એટલો જરૂરી છે..જયારે તમે કોઈ કૃતિનું સર્જન કરો છો ત્યારે તેના સ્થાયિત્વ કે કાયમીપણાં વિષે ન વિચારો. ઘણા ચિત્રકારો પોતાના કામને સંતાનોની જેમ સંભાળીને રાખતા હોય છે. જો કઈ નુકસાન થાય તો આપણે ફરી કરવું જોઈએ..!”
તેમ છતાં, કલાભવનના લોકોની વિચારસરણી કંઇક અલગ જ હતી, સ્થિરતાનો અને આબોહવાનો મુદ્દો હલ કરવા તેઓએ પછીથી મકાનોની દીવાલોને ટેરાકોટાની ટાઈલ્સથી મઢી દીધી, જે ટાઈલ્સ પહેલેથી જુદા જુદા કલાકારો પાસે ચીતરાવી હતી.
ચર્ચાના અંતે આ મ્યુરલ્સના સ્થાપનને લગતાં કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા જેમાં 88 વર્ષના પણ નવયુવાનને શરમાવે એવા જુસ્સાથી, કમર પર ઓર્થોપેડિક પટ્ટો અને વાંસની ટોપી પહેરીને આમથી તેમ ચઢ-ઊતર અને ચિત્રકામ કરતાં મણી દાને જોઈને સૌ મંત્રમુગ્ધ થઇ રહ્યાં.
ભલે શાંતિનિકેતન તેમનું પ્રિય હોય, દર વર્ષે એક મુલાકાત તેઓ લેતાં જ હોય છે, પરંતુ વડોદરા માટે તે એક સમ્માનની વાત છે કે તેઓ ફરીથી અહીં આપણી વચ્ચે સ્થાયી થયા છે.
SB/DP/KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: